એકત્ર ફાઉન્ડેશને સમગ્ર અર્વાચીન ગુજરાતી કવિતાનું સંપાદન કરવાની ગંભીર જવાબદારી મને સોંપી છે. એનું રૂપાળું નામ રાખ્યું છે — અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા. એના પેટાશીર્ષકથી જ એના વ્યાપનો ખ્યાલ આવશે — નર્મદથી સિતાંશુ. એનું કામ પૂરું થવામાં છે.
સંપૂર્ણ કાવ્યસંપદા પ્રકટ કરતાં પહેલાં તેના એક નમૂના તરીકે, સાચો શબ્દ વાપરું તો ટ્રેલર તરીકે એક જ કવિની કૃતિઓ પ્રકટ કરવાનો વિચાર આવ્યો. એ માટે ઉમાશંકર જોશીની પસંદગી કરી છે. ઉમાશંકર કરતાં વધારે સમર્થ અને વિકાસોન્મુખી કવિ કોણ છે? સામાન્યતઃ મોટા ભાગની સાહિત્ય-ચેતનાઓ કાલગ્રસ્ત થતી હોય છે. ઉમાશંકર એમાં વિરલ અપવાદ છે. ઉમાશંકર ગાંધીયુગની સરજત ગણાય છે, પણ ગાંધીયુગ, અનુગાંધીયુગ, આધુનિકયુગ અને અનુઆધુનિકયુગ એમ ચારે યુગોની કવિતાનું ઉમાશંકર પ્રતિનિધિત્વ ધરાવે છે.
આ સંપાદનની બે વિશેષતાઓ અ-પૂર્વ અને અ-દ્વિતીય છે: ૧. સંપાદનમાં કાવ્યાસ્વાદોનો પણ સમાવેશ કર્યો છે. અને ૨. અમર ભટ્ટ દ્વારા સંપાદિત અને એમનાં ગેય કાવ્યોના ઑડિયો પણ મૂક્યા છે. વળી, કવિનાં કેટલાંક કાવ્યોનું સ્વમુખે કરેલું કાવ્યપઠન પણ છે.
ઉમાશંકરવિશેષમાં કવિની કુલ ૫૨ કવિતાઓ, ૫૮ આસ્વાદો અને ૧૬ ગીતના ઑડિયો છે.
ઉમાશંકરવિશેષનો અને ભવિષ્યમાં પ્રકટ થનારી સમગ્ર કાવ્યસંપદાનો તમને ભાવભર્યો આવકાર.
તો, હવે ઉમાશંકર જોશીના કાવ્યજગતમાં પ્રવેશીએ –
— મધુસૂદન કાપડિયા