રામનારાયણ વિશ્વનાથ પાઠક
લેખક
રામનારાયણ વિશ્વનાથ પાઠક (1887-1955) : આપણા સંમાન્ય વિવેચક રા. વિ.પાઠકનો જન્મ ધોળકા પાસેના ભોળાદમાં, મુંબઈમાંથી તર્કશાસ્ત્ર અને ફિલસૂફી સાથે બી.એ. અને એલએલ.બી. થઈને એમણે 1911થી અમદાવાદમાં થોડાંક વર્ષ વકીલાત કરી. એ છોડીને 1921થી વિદ્યાપીઠમાં ફિલસૂફી અને સાહિત્યનું અધ્યાપન કર્યું. 1925થી ‘પ્રસ્થાન’ સામયિકના તંત્રી તરીકે જૂની-નવી પેઢી સાથે પ્રેરક અનુબંધ રચ્યો, ને શિક્ષક-વિવેચક તરીકે ‘ગાંધીયુગના કાવ્યગુરુ’ ગણાયા. પછી મુંબઈ-અમદાવાદની કોલેજોમાં પણ અધ્યાપન કર્યું.
મુખ્યત્વે એ ગુજરાતી સાહિત્યના વિવેચક – પંડિતયુગ અને ગાંધીયુગના સેતુરૂપ એક વરિષ્ઠ વિદ્વાન અને પિંગળકાર. ‘અર્વાચીન કાવ્યસાહિત્યનાં વહેણો’(1933) વગેરે 10 જેટલાં પુસ્તકોમાં એમની અવિરત વિવેચન-સાધના અંકિત થઈ છે. ‘બૃહત્ પિંગળ’(1955) એમનો અપ્રતિમ પિંગળગ્રંથ છે.
એ ઉપરાંત એમણે ‘દ્વિરેફ’ ઉપનામે વાર્તાસર્જન કર્યું – ગુજરાતી વાર્તાના આરંભકાળે પણ રચના-પ્રયોગશીલ નમૂનેદાર વાર્તાઓ આપી – એ ‘દ્વિરેફની વાતો’ના 3 ભાગો(1928, 1935, 1942)માં પ્રગટ થઈ છે ; ‘શેષ’ ઉપનામે સહજ ભાષાશૈલીમાં, ઊર્મિ-ચિંતન ઉભયના સ્પર્શવાળી છંદબદ્ધ ને ગીતકવિતા લખી – એ કાવ્યો ‘શેષનાં કાવ્યો’ (1938)માં ને પછી ‘વિશેષ કાવ્યો’(1959)માં સંચિત થયાં છે; ‘સ્વૈરવિહારી’ નામે એમણે હળવી શૈલીના ને પ્રાસાદિક વિચાર-વિમર્શના નિબંધો લખ્યા – એ ‘સ્વૈરવિહાર’ના 2 ભાગ(1931,1937)માં પ્રગટ થયા. એ ઉપરાંત પણ એમનાં ગદ્ય-પુસ્તકો પ્રગટ થયાં છે.
મમ્મટાચાર્યના ‘કાવ્યપ્રકાશ’નો રસિકલાલ પરીખ સાથે કરેલો અનુવાદ(1924), તેમજ અનેકવિધ સંપાદનો-સંચયો એમણે અભ્યાસીઓ, વિદ્યાર્થીઓ તથા જિજ્ઞાસુ સાહિત્યરસિકો માટે કરેલાં છે.
‘પાઠકસાહેબ’ના આદરણીય સંબોધનથી ઓળખાતા રહેલા રા.વિ.પા.ના સર્જન-વિવેચનના કોઈપણ લખાણનો મુખ્ય ગુણધર્મ પ્રાસાદિકતા ને પારદર્શતા રહ્યો છે એ એમના પ્રદાનની એક વિશેષ ને વિશિષ્ટ ઓળખ છે.
– રમણ સોની