Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

દલપત પઢિયારની કવિતા

રાજેશ મકવાણા


વિભાગ : કવિતા

દલપતસિંહ નારણસિંહ પઢિયારનો જન્મ તા. ૧.૧.૧૯૫૦માં મોસાળમાં ચરોતરના શીલી ગામે થયો હતો. બાળપણ અને કિશોરકાળ પોતાના વતન કહ્ાનવાડી (તા. આંકલાવ)માં મહિસાગરના પ્રકૃતિસભર પરિવેશમાં વીત્યું. પ્રાથમિક શિક્ષણ કહ્નવાડીમાં અને માધ્યમિક શિક્ષણ બોચાસણની વલ્લભવિદ્યાલયમાં પ્રાપ્ત કરેલું. સાત પેઢીથી જ્યાં ભજનની સરવાણી વહી રહી છે એ ધરા પર ઢોલક અને તબલા સાથે જ રમ્યા છે. ગોરખથી માંડીને ગંગાસતી સુધીની સંતપરંપરાના અવનવા રૂપ અનુભવ્યા છે. ભજનના પરંપરિત ઢાળ અને રાગે કવિની પ્રતિભાને ઘડવામાં મહત્ત્વની ભૂમિકા બજાવી છે. અઢીસો જેટલા ભજનો કંઠસ્થ હોય, સાંજે ગાવા બેસે તો બીજા દિવસની સાંજ સુધી એક પણ ભજન પુનરાવર્તન ન પામે એ રીતે અસ્ખલિત ધારા વહેતી રહે છે. એટલે જ કવિને મન કવિતા પણ ચોખ્ખી આધ્યાત્મિક પ્રવૃત્તિ જ રહી છે. કોઈ વિધિ-વિધાન કે ક્રિયાકાંડ નહીં પણ સૃષ્ટિને સમજવાનું ઉપાદાન છે. એટલે શબદ એ ઈશ્વરનું રૂપ છે. બ્રહ્મને પણ ઓળખમાં આવવું હોય તો શબદમાં આવવું પડે. આમ, પારિવારિક આધ્યાત્મિક સંસ્કારો થકી કવિનું પોત દીવાની જ્યોત સમું ઝળહળે છે.

સ્નાતક અને અનુસ્નાતક કક્ષાનું શિક્ષણ ગૂજરાત વિદ્યાપીઠમાં મેળવ્યું અને ત્યાં જ મોહનભાઈ શં. પટેલના માર્ગદર્શનમાં ‘ગાંધીયુગનું ગદ્ય’ વિષય પર પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરે છે. આરંભમાં અમદાવાદમાં એસ. વી. કૉલેજ અને સરસપુર કૉલેજમાં ખંડ સમયના અધ્યાપક તરીકે અને ત્યારબાદ ગૂજરાત વિદ્યાપીઠ સંચાલિત ગ્રામસેવા કેન્દ્ર, રાંધેજામાં અધ્યાપક તરીકે ત્યાં થોડા વર્ષો નોકરી કરી પછી સીધી ભરતીથી, ગુજરાત સરકારના વર્ગ એકના અધિકારી તરીકે પસંદ થયા. અને ભાવનગરમાં વહીવટી સેવામાં નાયબ માહિતી નિયામક તરીકે નિયુક્ત થયા. દીર્ઘકાળની વહીવટી સેવાઓ બાદ ગાંધીનગરમાં અધિક માહિતી નિયામક પદેથી ૨૦૦૮માં સેવાનિવૃત્ત થયા. હાલ તેઓ રવિભાણ સંપ્રદાયની શેરખી જગ્યાની એક શાખા કહ્નવાડીની ગાદીના સાતમી પેઢીના ગાદીપતિ તરીકે બિરાજમાન છે.

‘છોગાળા હવે છોડો’ બાળવાર્તાથી ખ્યાત બનેલા દલપત પઢિયાર પાસેથી ૧૯૮૨માં ‘ભોંય બદલો’ અને ૨૦૧૦માં ‘સામે કાંઠે તેડાં’ એ બે કાવ્યસંગ્રહો પ્રાપ્ત થાય છે. ૧૯૯૦માં એમના પીએચ.ડી.ના શોધનિબંધ ‘ગાંધીયુગનું ગદ્ય’નો પ્રથમ ભાગ પ્રકાશિત થાય છે. ૧૯૭૪માં ચિનુ મોદીના વડપણ હેઠળ કવિતા લખનારાઓનું ‘હોટલ પોએટ્સ’ ગ્રૂપ બનેલું અને દર ગુરુવારે નિયમિત રૂપે કવિતા લખીને લઈ જવાનું, કવિતાને પ્રસ્તુત કરવાનું પ્લૅટફૉર્મ પ્રાપ્ત થયું. જે કેન્ટીનમાં બેસીને કવિતાની કેફિયત થતી એનું નામ ‘ઓમિસ’ હતું, એ પરથી ‘ઓમિસિયમ’ નામે સામયિક શરૂ કરેલું. દલપત પઢિયારની કવિ પ્રતિભાને પોંખનાર આ પ્રથમ પ્રકાશન હતું. ‘ભોંય બદલો’ની મોટાભાગની કવિતાઓ આ ‘હોટેલ પોએટ્સ’ નિમિત્તે લખાયેલી ગુરુવારીય રચના છે.

ગામ-વતનનો વિચ્છેદ એમની કવિતાનો મુખ્ય વિષય બની રહે છે. એમની કવિતાની ભૂમિકામાં અનુભવનું વિશ્વ છે...

author

રાજેશ મકવાણા

વધુ જાણો

અન્ય પુસ્તકો