Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

પંચોતેરમે


બલવંતરાય ઠાકોરના 75મા વર્ષની ઉજવણી વખતે એમનાં પ્રવચનો અને એમની આત્મકથનાત્મક નોંધોને સંકલિત કરતું સંપાદન કિસનસિંહ ચાવડાએ કરેલું એનું આ ગ્રંથરૂપ 1946માં થયેલું. એમાં ઠાકોરે પ્રાસ્તાવિક આભારનોંધ લખી છે ને કિસનસિંહે ‘સત્યવંદના’ નામે ઠાકોરના સાહિત્યકાર્યની સરાહના કરતો 13 પાનાંનો સંપાદકીય લેખ કર્યો છે.

બલવંતરાયે ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, પૂના અને મુંબઈમાં 1943-44 દરમ્યાન 7 પ્રવચનો કરેલાં. એ પ્રવચનોમાં કેટલીક પ્રાસંગિકતા છે, તે તે શહેરની વિદ્યા-સાહિત્યવિષયક વિશેષતાઓની વાત છે, પરંતુ એેમાં વખતોવખત સાહિત્ય અને વ્યાપક જીવન-સંદર્ભના કેટલાક વિચાર-સ્ફુલ્લિંગો ઝળકી રહે છે. એમનાં કેટલાંક દૃઢ ગૃહીતો પણ એમાં વ્યક્ત થયેલાં છે. વક્તવ્યની ને શૈલીની જીવંત છટાઓનો અનુભવ પણ આ લખાણોમાં થાય છે.

90 પાનાંનાં આ પ્રવચનો પછીનાં 96 પાનાં ‘મિતાક્ષરી નોંધ’નાં છે એમાં ઠાકોર કહે છે એમ ‘આ વ્યવસ્થિત જીવનચરિત્ર ભલે નથી પણ એમાં મ્હારા જીવનનાં કેટલાંક સ્મરણો અનાયાસ આવી જઈ ગુંથાઈ જવા પામેલાં છે.’ ચરિત્ર-આત્મચરિત્રની આ રેખાઓ ઠાકોરની લાક્ષણિક લખાવટથી રસપ્રદ બની છે. ઇતિહાસના અભ્યાસી ઠાકોરે વંશ-વૃક્ષ આલેખ્યું છે, દાદા, પિતા, માતા, પત્ની વગેરેની સુરેખ તેમ નિખાલસ વ્યક્તિરેખાઓ ઉપસાવી છે, પોતાના કેટલાક જીવન-અનુભવોનું ટૂંકું ‘મિતાક્ષરી’ આલેખન કર્યું છે. એ રીતે એ બલવંતરાયનું લાક્ષણિક આત્મકથન બને છે.

–રમણ સોની

અન્ય પુસ્તકો