આ પુસ્તકનાં આવાં બે શીર્ષકોમાં ગાંધીજીને મન તો પહેલું જ વધુ મહત્ત્વનું હતું. પ્રસ્તાવનામાં એમણે લખ્યું છે કે ‘મારે તો આત્મકથાને બહાને સત્યના મેં જે અનેક પ્રયોગો કરેલા છે તેની કથા લખવી છે.’ આ કથામાં ઇ. ૧૯૨૦ સુધીનું ગાંધીજીનું જીવન આલેખન પામ્યું છે. જીવનમાં જે જે બન્યું ને જે જે લાગણી-વિચાર મનમાં જનમ્યાં તે બધું એમણે સત્યના દીવા સામે ધરી દીધું છે એટલે કોઇએ આ આત્મકથાને ‘નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો’ કહીને ઓળખાવી છે. સાદી સરળ ને અસરકારક બનતી ભાષા, નિખાલસ, પારદર્શક, સ્પષ્ટ નિરૂપણ આ કથાનું સત્ત્વ અને સૌંદર્ય બન્ને છે. ગુજરાતીની જ નહીં, દુનિયાભરની ઉત્તમ આત્મકથાઓમાં એનું ઊજળું સ્થાન છે.