૧૯૭૦ પછીની ગુજરાતી કવિતા આધુનિક વિચારધારાના મુખ્ય પ્રવાહથી વેગળી પડી. નવતરના વિષયો અને બાની સાથે તેની સિમ્ફનીનો અનેરો સૂર તેની નવી ઓળખ બને છે. ત્યારે સંવેદના અને પ્રતીકોના સુમેળની એક વિશિષ્ટ સૃષ્ટિ મળે છે, જેમાં તીવ્ર અવાજને બદલે શાંત અને પોતપોતાના કોલાહલની કવિતાઓ સંભળાય છે. અહીં વ્યક્ત થવાના મોકળા આકાશ સાથે સંવેદનની ભીનાશને વધુ પડતા રોમેન્ટિક બન્યા વગર આછેરી લાગણી સાથે આલેખાય છે. આ કવિતા વધુ સંકુલ બન્યા વગર વિવિધ ભાવ આયામોને આલેખે છે, જેમાં અનેક શક્યતાઓ હોય છે. ગતિ, અવકાશ અને વિવિધ વિષયોના અનેક પરિમાણ તરફ ધ્યાન ખેંચાય છે. આવા કેટલાક નવા શાંત, મક્કમ અને સાહસિક આંદોલનની કવિતા કમલ વોરાની કવિતા છે, કવિ ક્યારેક સ્થિર-જડ વસ્તુમાં ચેતન ઉમેરે છે, તો ક્યારેક અધ્યાત્મના ઊંડા અતળ સ્પંદનોને સ્પર્શે છે. તો ક્યારેક આયુ વધતા મનુષ્યનું મન કેવા ભિન્ન તરાહોમાંથી પસાર થાય છે, તેનું આલેખન કરે છે.
કમલ વોરાની કવિતા અનુઆધુનિક ગુજરાતી કવિતાનો આગવો અવાજ છે, તેમની કવિતાના ત્રણ મુકામો છે, ‘અરવ’ (૧૯૯૧), ‘અનેકએક’ (૨૦૧૨) અને ‘વૃદ્ધશતક’ (૨૦૧૫). પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયા બાદ બીજો કાવ્યસંગ્રહ ૨૧ વર્ષે અને તેના ત્રણ વર્ષ પછી ત્રીજો કાવ્યસંગ્રહ પ્રગટ થયો છે. ઓછાબોલા, મિતભાષી કવિએ શબ્દો પાસેથી બહુ જ સંયતપૂર્વક, જરાય બોલકા બન્યા વિના, પ્રતીકના ઉપયોગથી રમ્ય શબ્દચિત્ર આકાર્યા છે. કવિએ લેખનના આારંભકાળમાં ગઝલ લખ્યા બાદ અછાંદસ કવિતા સ્વરૂપ પર વિશેષ કાર્ય કર્યું છે. આ ત્રણેય સંગ્રહ અછાંદસ બાની લખાયા છે. પોતાની આજુબાજુની સૃષ્ટિમાંથી અનેક પ્રતીકો પસંદ કરીને કવિએ કરેલું આલેખન જોઈશું ત્યારે સમજાશે કે તેમની નિરીક્ષણ શક્તિ કેવી સૂક્ષ્મ છે અને પરાપૂર્વથી ચાલી આવતા સંદર્ભોને કવિની સર્જકતા કેવા નવા જ પરિમાણ આપ્યા છે. જેને આપણે કવિતાનું ‘ક્રાફ્ટ’ કહીએ છીએ, તે નખશિખ આકાર, શબ્દાકારે કાવ્યસૌન્દર્ય દિપાવ્યું છે. તેમની કવિતાની સૃષ્ટિ ગહન છે, જે ઉપરછલ્લી ભાવસંવેદનાની લપસણી ભૂમિ પર છેતરાતી નથી. કવિતાના શબ્દો સાવ સરળ લાગે તો પણ કવિનું એક ચોક્કસ લક્ષ્ય હોય છે, જે ભાવકને પડકાર સાથે સજાગ અને આંતરભાવ સમૃદ્ધિનો અનુભવ કરાવે છે.