યુગવર્તી સુરેશ જોષીના સમગ્ર સાહિત્યને આટલા લઘુફલક પર મૂલવવું એ કસોટીરૂપ કાર્ય છે. આમ છતાં, ગુજરાતી સાહિત્યમાં એમની સર્જક ચેતના અને વિવેચન સંપાદનનાં આંદોલનો દ્વારા સાહિત્યને અપાયેલા મહત્ત્વના વળાંકનો અર્થ એમાંથી ઉપસાવવાનો અને એ અર્થને તપાસવાનો અહીં ઉપક્રમ છે. આધુનિકતાવાદના ક્રાંતિકારક સ્ત્રોતનો વેગ ગુજરાતી સાહિત્યસ્વરૂપોની કાયાપલટ કરી નવાં શિલ્પ અને કલેવર રચી ગયો છે, એના પગેરુ અહીંના વિશ્લેષણમાં મળવા શક્ય છે.
મૂળે, રમણલાલ જોષીના સંપાદન હેઠળ ‘ગુજરાતી ગ્રંથકાર-૪૩' રૂપે ગૂર્જર ગ્રંથ કાર્યાલય મારફતે પ્રગટ થયેલું આ પુસ્તક સંપાદનનાં અન્ય અંગોને ગાળી નાખીને સ્વતંત્ર લેખન રૂપે અહીં પ્રકાશિત કર્યું છે. પાર્શ્વ પબ્લિકેશનનો આ માટે હું આભારી છું.
— ચન્દ્રકાન્ત ટોપીવાળા