નર્મદની હયાતીમાં પ્રગટ થયેલું એનું આ છેલ્લું ગદ્યપુસ્તક છે. નર્મદની ઉત્તરાવસ્થામાં, એના વિચાર-પરિવર્તનને આલેખતા, મુખ્યત્વે ‘ગુજરાતી’ સામયિકમાં અને એક ‘આર્યજ્ઞાનવર્ધક’ સામયિકમાં પ્રકાશિત થયેલા લેખો છે. ઇચ્છારામ દેસાઈએ એનું સંકલન કરીને એને ‘ધર્મવિચાર’ નામથી 1885માં ગ્રંથરૂપ આપ્યું.
સ્વભાવના તેમજ સુધારા વિશેના આવેગો ઓછા થતાં નર્મદ આંતરદર્શન કરે છે – આર્યધર્મ પ્રત્યે વળે છે. જે માણસ પ્રવૃત્તિ-સક્રિય હતો એ કંઈક અંશે પ્રારબ્ધવાદી બનતો જણાય છે. એની પાછળ સુધારા અને સુધારાવાદીઓની નિષ્ફળતા અને અમુક અંશે તો સુધારાની નિરર્થકતાની પ્રતીતિ પણ કારણભૂત બનેલી છે.
‘સુધારો અને સુધારાવાળા’ જેવા ચિકિત્સા કરતા લેખથી ‘સનાતન ધર્મ અને સામાજિક ધર્મ’ની ચર્ચા કરતા આ 7 દીર્ઘ લેખોમાં નર્મદની ધર્મપરાયણતા ક્યાંક ધર્મ-બોધરૂપે પણ વ્યક્ત થઈ છે. જેમ કે ધર્મજિજ્ઞાસા લેખ પ્રશ્નોત્તરી રૂપેમુકાયો છે તો કેટલાકમાં એની પૂર્વખ્યાત ઉદ્બોધનશૈલી પણ દેખાય છે. ક્યાંક તો લેખકની ‘સ્વધર્મે નિધનં શ્રેય:’ અને ‘નષ્ટો મોહ: સ્મૃતિર્લબ્ધા’ જેવી પ્રાચીન પરંપરા-નિષ્ઠતા પણ જણાય છે. વળી આ નિબંધોમાં થિયોસોફી, આર્યસમાજ, વગેરે વિચારસરણીઓ સાથે સ્પષ્ટ અસંમતિ દેખાય છે એથી કેટલાકને નર્મદની વૃદ્ધ-મનસ્થિતિ પણ એમાં જણાઈ છે.
પરંતુ, એની સાથે મતભેદ ધરાવનારને પણ આ નિબંધોમાં નર્મદની સ્પષ્ટતા, નિખાલસતા તો સ્પર્શી જાય એમ છે. એક નિબંધકાર તરીકે નર્મદની થોડીક વિલક્ષણ છતાં પૂર્વ મુદ્રા એમાં જરૂર દેખાશે.
એથી, આ લખાણોમાં પ્રવેશવું પણ રસપ્રદ નીવડશે.
– રમણ સોની