આધુનિક ટૂંકી વાર્તાની પ્રતિક્રિયારૂપે ૧૯૮૦ પછીની ગુજરાતી ટૂંકી વાર્તા સ્પષ્ટપણે વળું બદલે છે. આ સમયગાળાના વાર્તાકારો પરંપરાગત અને આધુનિક બેઉ સમયગાળાની વાર્તાનાં બિનજરૂરી, આયાસી તત્ત્વોને ગાળી, પરંપરાનો વિસ્તાર સાધવાની પ્રામાણિક મથામણ આદર છે. કૃતક પ્રયોગશીલતાને બદલે સંવેદનશીલ સર્જકતાને રસ્તે વળેલા આ અનુઆધુનિક વાર્તાકારો રચનારીતિ અને ભાષાના વિનિયોગ પરત્વે એકદમ સભાન છે. પરિચિત પરિવેશ અને પોતીકા સંવેદનાજગતને આલેખતા આ વાર્તાકારોએ સાંપ્રત સાથેનો, નક્કર વાસ્તવ સાથેનો તૂટી ગયેલ નાતો ફરીથી જોડ્યો. કલાત્મકતા સાથે જરાય સમાધાન કર્યા વગર વિશાળ ભાવકવર્ગ સુધી પહોંચવા મથતી આ સમયગાળાની વાર્તા માનવમનની અકળ સંકુલતાઓને આલેખવામાં જરાય પાછી નથી પડતી. ગુજરાતી ટૂંકી વાર્તા સિવાયના સાહિત્યપ્રકારોમાં પણ મહત્ત્વનું પ્રદાન કરનાર હિમાંશી શેલત અનુઆધુનિક ગુજરાતી વાર્તાનું અતિ મહત્ત્વનું નામ છે.