Book Cover
images/icon/eBook-icon-purple.svg ઇ-બુક

ગુજરાતી સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર

રમણ સોની


વિભાગ : વિવેચન

 

 
 

‘ગુજરાતી વિવેચન પરંપરા’ વિશે ચારેક સંપાદન-ગ્રંથો કરવા વિચાર્યું છે એ પૈકી આ ગ્રંથ-૧ ‘સાહિત્યવિવેચનમાં તત્ત્વવિચાર’ વિશેનો છે. આ ગ્રંથ નર્મદથી આરંભીને છેક સાંપ્રત સમય સુધીના વિવેચકોના ૫૩ લેખોને સમાવતું એક પ્રતિનિધિરૂપ સઘન સંપાદન છે.

ગુજરાતી વિવેચન એના આરંભકાળથી જ પુસ્તક-અવલોકન, કવિ-પરિચય, ઐતિહાસિક ચર્ચા, વગેરેની સાથે સાહિત્યનો તત્ત્વ-વિચાર પણ કરતું રહ્યું છે. ને આરંભે અંગ્રેજી સાહિત્ય અને વિવેચનનું પરિશીલન એ માટે પ્રેરક બનતું રહ્યું ને સાથેસાથે સંસ્કૃતમીમાંસાનું અધ્યયન પણ તત્ત્વવિચાર-સંવર્ધક બનતું ગયું છે. સમય જતો ગયો એમ યુરપીય સાહિત્યતત્ત્વવિચારથી ને એમ વૈશ્વિક વિવેચનવિચારથી પણ ગુજરાતી વિવેચક પરિચિત ને પ્રતિભાવિત થતો ગયો. આધુનિક કાળમાં ને પછી અનુઆધુનિક કાળમાં તે તે સમયની વિચારધારાઓ સાથે ગુજરાતી વિવેચક સંવાદ સાધતો રહ્યો છે ને પોતાની મૌલિક વિચારશીલતાને પણ પ્રયોજતો ગયો છે.

એટલે આ સંપાદનમાં વિવિધ દિશાઓમાં જતા ને વિવિધ દૃષ્ટિકોણો ઉપસાવતા લેખોમાંથી પસાર થવાના જિજ્ઞાસા-ઉત્તેજક આનંદ પામી શકાશે. ગુજરાતી સાહિત્ય-વિવેચનના તત્ત્વવિચારનો એક ભાતીગળ આલેખ ઊપસવાની સાથે અહીં, તત્ત્વલક્ષી વિવેચનની ઇતિહાસ-રેખા પણ જોઈ શકાશે.

તાત્ત્વિક વાચનમાં રસ લેનાર જિજ્ઞાસુઓ, લેખકો, અનુસ્નાતક અભ્યાસ કરતા ને સંશોધન પણ કરતા વિદ્યાર્થીઓ, સાહિત્યના અધ્યાપકોને માટે આ સંપાદન એક હાથવગા સંદર્ભની ગરજ સારશે, એ જ રીતે ઉચ્ચતમ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગુજરાતી ભાષાસાહિત્યને વિષય તરીકે સ્વીકારનારને માટે પણ એ જરૂરી સંદર્ભ બની રહેશે.

દરેક લેખના આરંભે, લેખશીર્ષક પૂર્વે વિવેચકની છબી અને જન્મવર્ષ મૂક્યાં છે ને લેખને અંતે સ્રોતગ્રંથ નોંધ્યો છે, મળ્યું ત્યાં લેખના પ્રથમ લેખન/પ્રકાશનનું વર્ષ પણ મૂક્યું છે. અનુક્રમ લેખકોના જન્મવર્ષ અનુસાર કરેલો છે.

તો, હવે આ સાહિત્ય-તત્ત્વ-જગતમાં પ્રવેશીએ –

 

—રમણ સોની

author

રમણ સોની

વધુ જાણો

રમણ સોની રચિત અન્ય પુસ્તકો

અન્ય પુસ્તકો